Home Gujarat ચોમાસામાં માર્ગના રિપેરીંગ-રિસરફેસિંગ માટે રાજ્ય સરકારે 149 નગરપાલિકાને રૂપિયા 107 કરોડની ફાળવણી...

ચોમાસામાં માર્ગના રિપેરીંગ-રિસરફેસિંગ માટે રાજ્ય સરકારે 149 નગરપાલિકાને રૂપિયા 107 કરોડની ફાળવણી કરી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ચાલુ વર્ષે ચોમાસા દરમિયાન ભારે વરસાદને કારણે રાજ્યના શહેરી વિસ્તારોના રસ્તાઓને ભારે નુકસાન થાય તો રિસરફેસ અને રિપેરીંગ કામગીરી તાકીદે શરૂ થઈ શકે તેવા આગોતરા આયોજનના ભાગરૂપે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 149 નગરપાલિકાને કૂલ 107 કરોડની ફાળવણી કરી છે.

ચોમાસાની ઋતુ દરમિયાન ભારે વરસાદને પરિણામે રાજ્યના શહેરી વિસ્તારોના રસ્તાઓને ભારે નુકસાન થવું સંભવિત છે. નુકસાન પામેલા આવા રસ્તાઓનું વહેલી તકે રિસરફેસિંગ અને રિપેરીંગ કરીને નગરોમાં વધુ માર્ગ સલામતી તથા સારા રસ્તાની સુવિધા મળી રહે તેવો જનહિત અભિગમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અપનાવ્યો છે.

જે નગરોમાં રસ્તાઓની પ્રવર્તમાન સ્થિતિ ગટર, પીવાના પાણી માટેની પાઈપલાઈન સહિતના કામો માટે રસ્તાઓના ખોદકામના કારણે પણ જો સારી ન હોય તો તેવા નગરોમાં ચોમાસા પૂર્વે રોડ રિપેરિંગ માટે સંબંધિત નગરપાલિકાઓની માંગણી અનુસાર રાજ્ય સરકાર નાણાં ફાળવણી કરે છે.

મુખ્યમંત્રીએ રાજ્યની નગરપાલિકાઓને રોડ રિપેરીંગ-રિસરફેસિંગ માટેના આગોતરા આયોજનના ભાગરૂપે નગરપાલિકાઓના વર્ગ મુજબ ગ્રાન્ટ ફાળવવાની મંજૂરી આપી છે.

તદઅનુસાર, ‘અ’ વર્ગની 37 નગરપાલિકાઓને પ્રત્યેકને 1 કરોડ પ્રમાણે કુલ 37 કરોડ, ‘બ’ વર્ગની 34 નગરપાલિકાઓને દરેકને 80 લાખ મુજબ 27 કરોડ,  ‘ક’ વર્ગની 61 નગરપાલિકાઓને નગરપાલિકાદીઠ 60 લાખ પ્રમાણે કુલ 36 કરોડ તેમજ ‘ડ’ વર્ગની 17 નગરપાલિકાઓને પ્રતિ નગરપાલિકા 40 લાખ પ્રમાણે કુલ 6.80 કરોડ મળીને સમગ્રતયા 107 કરોડ રૂપિયાની ગ્રાન્ટ મુખ્યમંત્રી શહેરી સડક યોજનામાંથી ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન દ્વારા સંબંધિત નગરપાલિકાઓને ફાળવવામાં આવશે.

રાજ્યના નગરોમાં જો ચોમાસાં દરમિયાન ભારે વરસાદના કારણે માર્ગોને વધુ નુકસાન થાય તો તેમને ફાળવવામાં આવેલી આ રકમ ઉપરાંત નગરપાલિકાઓની વધુ જરૂરિયાત અને માંગણી મુજબ રોડ રિપેરિંગ માટે નાણાં ફાળવવાનો પ્રજાલક્ષી અભિગમ પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અપનાવ્યો છે.